John 2

1ત્રીજે દિવસે ગાલીલના કાના ગામમાં લગ્નપ્રસંગ હતો; અને ઈસુનાં મા ત્યાં હતાં. 2ઈસુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

3જ્યારે દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે મરિયમ ઈસુને કહે છે કે, ‘તેઓની પાસે દ્રાક્ષારસ નથી.’ 4ઈસુ તેને કહે છે, ‘બાઈ (સ્ત્રી), મારે અને તારે શું? મારો સમય હજી આવ્યો નથી.’ 5તેમની મા ચાકરોને કહે છે કે, ‘જે કંઈ તે તમને કહે તે કરો.’

6હવે યહૂદીઓની શુધ્ધીકરણની રીત પ્રમાણે દરેકમાં ચાળીસ લીટર પાણી ભરાય એવાં પથ્થરનાં છ કુંડાં ત્યાં મૂકેલાં હતાં. 7ઈસુએ તેઓને કહ્યું, ‘તે કુંડાંઓમાં પાણી ભરો.’ એટલે તેઓએ કુંડાંને છલોછલ ભર્યાં. 8પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ.’ તેઓ તે લઈ ગયા.

9જયારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો (પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા), ત્યારે જમણના કારભારીએ વરને બોલાવીને, 10કહ્યું, ‘દરેક માણસ પહેલાં ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે; અને માણસોએ તે સારી રીતે પીધા પછી સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પણ તમે અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખી મૂક્યો છે.’

11ઈસુએ પોતાના અદભૂત ચમત્કારોનો આરંભ ગાલીલના કાના ગામમાં કરીને પોતાનો મહિમા પ્રગટ કર્યો; અને તેમના શિષ્યોએ ઈસુ પર વિશ્વાસ કર્યો.

12ત્યાર પછી ઈસુ, તેમની મા, તેમના ભાઈઓ તથા તેમના શિષ્યો કપર-નાહૂમમાં આવ્યાં પણ ત્યાં તેઓ વધારે દિવસ રહ્યાં નહિ.

13હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા. 14ત્યાં ભક્તિસ્થાનમાં તેમણે બળદ, ઘેટાં, કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા જોયા.

15ત્યારે ઈસુએ દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં, બળદ સહિત, ભક્તિસ્થાનમાંથી કાઢી મૂક્યાં; નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને બાજઠો ઊધાં વાળ્યાં; 16કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું કે, ‘આ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું બજાર ન બનાવો.’

17તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, ‘તારા ઘરની આસ્થા મને કોરી ખાય છે.’ 18તેથી યહૂદીઓએ તેમને પૂછ્યું કે, ‘તું આ કામો કરે છે, તો અમને શો ચમત્કાર બતાવે છે?’ 19ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘આ ભક્તિસ્થાનને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું તેને ઊભું કરીશ.’

20ત્યારે યહૂદીઓએ કહ્યું કે, ‘આ ભક્તિસ્થાનને બાંધતા છેંતાળીસ વર્ષ લાગ્યાં છે અને શું તું તેને ત્રણ દિવસમાં ઊભું કરશે?’ 21પણ ઈસુ પોતાના શરીરરૂપી ભક્તિસ્થાન વિષે બોલ્યા હતા. 22માટે જયારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું; અને તેઓએ શાસ્ત્રવચન પર તથા ઈસુએ કહેલા વચન પર વિશ્વાસ કર્યો.

23હવે પાસ્ખાપર્વના સમયે ઈસુ યરુશાલેમમાં હતા, ત્યારે જે અદભૂત ચમત્કારો તે કરતા હતા તે જોઈને ઘણાએ તેમના નામ પર વિશ્વાસ કર્યો. 24પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા, અને મનુષ્ય વિષે કોઈની સાક્ષીની તેમને જરૂર ન હતી; કેમ કે મનુષ્યમાં શું છે તે તેઓ પોતે જાણતા હતા.

25

Copyright information for GujULB